રાજીવ મલ્હોત્રાનું પુસ્તક: બ્રેકિંગ ઈન્ડિયા-હવે ગુજરાતીમાં 

 

'અતિથિ દેવો ભવ'ની માન્યતામાં આસ્થા રાખનારા આપણાં સમાજે બહારથી આવનારાઓને ઉમળકાથી આવકાર્યા, સ્વીકાર્યા અને પોતાનામાં સમાવી લેવા પ્રામાણિક પ્રયાસ કર્યો. એમાંના ઘણા 'અતિથિઓએ' વિશ્વાસઘાતની પરાકાષ્ટાથી અનેકગણા આગળ વધીને યજમાનને બળ, કળ  અને  છળથી સંપૂર્ણપણે નષ્ટ કરવામાં કોઈ જ કચાશ ન રાખી. પરંતુ, આપણાં પૂર્વજોના પુણ્ય પ્રતાપે આપણો સમૂળગો નાશ તેઓ ના કરી શક્યા. લગભગ 1400-1500 વર્ષથી સતત ચાલી રહેલા વિષયુક્ત માનસવાળા આ પરિબળોના અથાક પ્રયાસને છેલ્લાં 200-250 વર્ષમાં જે બૌદ્ધિક બળ પ્રાપ્ત થયું એ વિશે, એની રણનીતિ વિશે, એની પાછળના બૌદ્ધિક તત્ત્વો વિશે ગહન પૂર્વપક્ષ કરીને એ વિશે પૂર્ણતયા માહિતી સૌ પ્રથમ વાર શ્રી રાજીવ મલ્હોત્રાએ એમના યુગપરિવર્તિત અંગ્રેજીમાં પુસ્તક 'બ્રેકિંગ ઈન્ડિયા'માં પ્રસ્તુત કરી છે. એમાં યે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી, અમુક અંશે યુરોપ અને મહદંશે અમેરિકાની સાથે સાથે જે સનાતન ધર્મ-દ્વેષી ઝેરી અને વિકૃત ફાલ ભારતમાં પણ સંવર્ધિત થયો એ બધાં પરિબળોને પણ એમણે ઉઘાડાં પાડી દીધા છે. આ પુસ્તકની રચના પાછળના 135 પાના ભરેલાં સંદર્ભો એમના અકલ્પનીય પરિશ્રમ વિશે છડી પોકારીને આપણને જાણ કરે છે. શ્રી રાજીવ મલ્હોત્રા છેલ્લાં વીસેક વર્ષથી આ વિશે ગાઢ નિદ્રામાં પોઢેલા આપણાં સમાજને, સમગ્ર ભારતીયોને, આપણને ઢંઢોળીને જગાડવા સતત પ્રયત્નશીલ છે. જો અગાઉ એમની વાત ઉપર ધ્યાન આપ્યું હોત તો આજે 'Dismantling Global Hindutva-ડિસમેન્ટલિન્ગ ગ્લોબલ હિન્દુત્ત્વ' જેવી પરિષદો કદાચ ના થાત. અથવા, આવી પરિષદોનો આપણે સામનો કરવા વધુ શસ્રસજ્જ/શાસ્ત્રસજ્જ હોત. 

ઓછામાં ઓછું હવે આ યાત્રા આપણે ગુજરાતીઓ શરુ કરી શકીયે એ માટેના શુભ સમાચાર આપવા જ આ લેખ પ્રસ્તુત છે જેથી આવનારા વર્ષોમાં આપણે પૂર્ણપણે સજ્જ થઈને આવા તત્ત્વોને સટિક પ્રત્યુત્તર આપી શકીએ, કારણ કે આપણાં સૌ ગુજરાતીઓના સદ્ભાગ્યે એમના સમગ્ર સુપ્ત ભારતીયોને જાગૃત કરવાના આ મહાન પરિશ્રમને ગુજરાતી વાચા પ્રાપ્ત થઈ ચુકી છે.  

મિત્રો, ભગવદ્દ કૃપાથી એમના આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર કરવાનો મને અવસર પ્રાપ્ત થયો એ માટે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવતા આપ સૌની સમક્ષ આ પુસ્તક પ્રસ્તુત કરું છું.

કાશ્મીરના હિંદુઓ જ્યારે ધનસંપત્તિ એકત્ર કરવામાં વ્યસ્ત હતા ત્યારે એમના જ પ્રાંગણમાં અને પૃષ્ઠાંગણમાં એમના વિનાશની યોજના આકાર લેવાઈ રહી હતી. પરંતુ તેઓ વ્યસ્ત હતા ધનોપાર્જનમાં. અડોશપાડોશમાં ચારેકોર ફેલાયેલા શત્રુઓને તેઓ છેક સુધી ઓળખી ના શક્યા. એ પછી શું થયું એ હવે આપણે સૌ જાણીયે છીએ. એટલે આપણાં અસ્તિત્ત્વને જો ટકાવવું હોય, આપણી આવનારી પેઢીઓને સુરક્ષિત રાખવી હોય તો આપણે આપણાં શત્રુઓને ઓળખવું ખૂબ જ આવશ્યક છે. માર્ચ માસમાં પ્રસ્તુત થયેલા 'ઘી કાશ્મીર ફાઈલ્સ' ચલચિત્રમાં આ પ્રશ્નનો  પ્રત્યુત્તર સહેલાઈથી મળે છે.

પ્રથમ, એક દ્રષ્ટિ આપણે આ મહાનુભાવના ત્યાગ, પરિશ્ર, બુદ્ધિમત્તા, વિદ્વતા અને અતિવિસ્તૃત કાર્યફલક પર નાંખીયે જેથી આપણને આ યુગપુરુષના કાર્ય ઉપર ધ્યાન આપવા માટે પ્રેરણા મળે.

હજારેક વર્ષના બૃહદ્દ કાળખંડ પછી હવે આપણા દેશના ભાગ્યોદયની શરૂઆત થઈ ગઈ હોય એવું કહેવું અતિશયોક્તિભર્યું લાગતું નથી. શરૂઆત ચોક્કસ ક્યારથી થઈ એ કહેવું જરૂર મુશ્કેલ છે. છેલ્લાં દોઢસો-બસો વર્ષના ઘટનાચક્ર ઉપર નજર કરતાં જણાશે કે કદાચ શરૂઆત રામકૃષ્ણ પરમહંસના જન્મથી થઈ હોઈ શકે. 1835માં મૅકોલેની શિક્ષણનીતિ અંતર્ગત અંગ્રેજી ભાષાનો ભારતના શિક્ષણમાં પ્રવેશ અને 1836માં રામકૃષ્ણ પરમહંસનો જન્મ એ કદાચ યોગાનુયોગ હોઈ શકે. રામકૃષ્ણના આગમન પછીના ઘટનાકાળ તરફ નજર કરતાં એમના દ્વારા દીક્ષાપ્રાપ્ત સ્વામી વિવેકાનંદનો ભારતના રાજકારણ અને વેદિક ધર્મ આધારિત જીવનમૂલ્યો ઉપર ગહન પ્રભાવ, ભારતની અસ્મિતા કે ગૌરવનો વિશ્વભરમાં એમણે બજાવેલો ડંકો એ પણ યોગાનુયોગ હોઈ શકે. 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની  સ્થાપના એ પણ યોગાનુયોગ હોઈ શકે. ફાસ્ટ ફોરવર્ડ વીસમી સદી...આમ તો ઘણા મહાનુભાવોની યાદી બની શકે.

પરંતુ, સાંપ્રત સમયમાં જો કોઈ એક વ્યક્તિએ ભારતીય સભ્યતા, સનાતન ધર્મ અને વેદિક દર્શન માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હોય તો એમાં રાજીવ મલ્હોત્રાનું નામ મોખરે રહે. એમાં કોઈ જ શંકા નથી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવારના સભ્યોએ અને એના જેવી અનેક સંસ્થાઓના સભ્યોએ અને અન્ય લાખો ભારતીયોએ આપણી સભ્યતાની સેવા માટે સંપૂર્ણપણે જીવન સમર્પિત કરેલું છે જ. પરંતુ, મહત્ત્વની બાબત એ છે કે રાજીવ મલ્હોત્રાએ આ પથ એવે સમયે સ્વીકાર્યો જ્યારે એમની કારકિર્દીનો સુરજ મધ્યાહ્ને તપતો હતો. 44 વર્ષની વયે આર્થિક કે વ્યાવસાયિક ક્ષેત્રે મોટા ભાગના સફળ લોકો  જ્યારે એમની સફળતાના પાયા ઉપર ભવ્ય ભવનના ચણતર કરવામાં વ્યસ્ત બનતા હોય ઠીક એવે જ સમયે આ મહાનુભાવે 1994માં કરોડો ડૉલર્સની ધિકતી કમાણી કરી આપતી કારકિર્દીમાંથી સન્યાસ લઈને આ માર્ગે પદાર્પણ કર્યું. અનેક દેશોમાં પથરાયેલા એમના વ્યવસાયના વીસ ફ્રેન્ચાઈસી હોલ્ડરર્સને દરેકને એમની ફ્રેન્ચાઈસી માત્ર એકેક ડૉલરમાં વેચીને એમણે ભૌતિક ભાગદોડથી ત્વરિત મુક્તિ મેળવી.

રાજીવ મલ્હોત્રાએ ઘણા વર્ષ સુધી મુખ્યત્ત્વે ભારતીય સભ્યતાને લગતા વિષયોનું ઐતિહાસિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અધ્યયન કર્યું. છેલ્લા બસોથી વધુ વર્ષમાં ઈન્ડોલોજી વિષયને લગતા યુરોપિયન, અમેરિકન અને ભારતીય વિદ્વાનો દ્વારા લખાયેલા હજારો પુસ્તકો વાંચ્યા, એટલું જ નહીં પરંતુ સમગ્ર વિષયને સમજીને સૌનું પૃથક્કરણ કરીને એમાંના દોષો, એમનો બદઈરાદાપૂર્વકનો એજેન્ડા ઈત્યાદિ ઉઘાડા પાડ્યા. મૂળથી ભૌતિકવિજ્ઞાનના પીએચડી અને કમ્પ્યુટર તેમજ નેટવર્કના વ્યવસાય કરતા રાજીવ મલ્હોત્રાની બુદ્ધિમત્તાની પ્રશંસા જેટલી કરાય એટલી અપર્યાપ્ત ગણાશે. કારણ કે આ બધા વિદ્વાનોનું અંગ્રેજી ભાષા ઉપરનું અદ્ભૂત પ્રભુત્ત્વ અને લખાણની અતિ કઠિન શૈલી અભ્યાસ કરવા ઈચ્છતા મોટા ભાગના વિદ્વાનો માટે પણ ઊંડા ઉતરવામાં બાધારૂપ બને છેજ્યારે આ સીમા ઓળંગીને એમણે પશ્ચિમી તત્ત્વજ્ઞાન/ફિલોલોજી વિષયોમાં વપરાતી ચોક્કસ થિઅરી, ખુબ જ અઘરા વાક્યાંશો ઈત્યાદિને પર્યાપ્ત રીતે સમજીને એ સૌનું પૃથક્કરણ કરીને આ બધા લેખકોને તેઓ પડકારે છે. ઘણા લેખકોના દાવાને પોતાના પુસ્તકોમાં પડકારે છે. જે લેખકો મૃત છે અને જેમણે પોતાની વિદ્વતાનો (દૂર્)ઉપયોગ કરીને ભારત વિશે, ભારતની સભ્યતા વિશે, સંસ્કૃતિ વિશે અને ભારતના શાસ્ત્રો વિશે ગેરમાર્ગે દોરતાં કથાનકો (નેરેટિવ) અને વિધાનો પોતાના પુસ્તકો કે ગ્રંથોમાં અંકિત કરી દીધા હતા તેઓને સૌને ઉઘાડા પાડ્યા અને જેઓ જીવિત છે તેઓને ન માત્ર ઉઘાડા પાડ્યા પરંતુ તેઓને ચર્ચા કરવા અનેક વાર નિમંત્રણ પણ આપ્યું છે, પરંતુ કોઈએ હજી સુધી એમના નિમંત્રણને સ્વીકાર્યું નથી.

ટૂંકમાં, જેને આપણી પરંપરામાં પૂર્વપક્ષ કહેવાય છે જે પરંપરા આદિ શંકરાચાર્ય પછી લગભગ ભુલાઈ ગઈ હતી એ પરંપરાને એમણે જીવિત કરીને ગાઢ નિદ્રામાં પોઢેલી ભારતીય પ્રજાને જાગૃત કરી છે.

આ યાત્રા શરુ કર્યા પછી એમણે અભ્યાસ કરવામાં ભાગ્યે જ કોઈ વિષય બાકાત રાખ્યો હશે. થોડાં ઉદાહરણ જોઈએ; ઈન્ડોલોજી, પશ્ચિમી તત્ત્વજ્ઞાનમાર્ક્સવાદ, આપણાં શાસ્ત્રો (શ્રુતિ/સ્મૃતિ) વિષયક ગહન અભ્યાસ, વૈશ્વિક ઈતિહાસ, જેનેટિક મોડિફિકેશન, એલોપેથિક ક્ષેત્રનો અભ્યાસ, આયુર્વેદિક શાસ્ત્ર વિષયક અભ્યાસ, વિશ્વની અનેક સભ્યતાઓના મહાકથાનક (ગ્રાન્ડ-નૅરેટિવ) વિષયક ઊંડો અભ્યાસ, યોગ અને મેડિટેશન વિષયને લગતો ખુબ જ ઊંડો અભ્યાસ, ક્રિશ્ચિઆનિટી, ઈસ્લામ, વેદિક પરંપરાના બધા જ ધર્મો (સનાતન ધર્મ ઉપરાંત જૈન, બૌદ્ધ, શીખ) વિષયક પણ ઊંડો અભ્યાસ, ડેટા-એનાલિટિક્સ, વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ અને આ વિષયક ચાલતી ગતિવિધિઓ, શિક્ષણ ક્ષેત્ર વિષયક ઊંડો અભ્યાસ, પર્યાવરણ વિષયક વિસ્તૃત અભ્યાસ, આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સ, કોવિડ સંદર્ભમાં સંશોધન ઈત્યાદિ. એમનો અભિગમ એક માત્ર એ રહ્યો છે કે આપણી સભ્યતા કાજે જે બની શકે એ કરવું. પ્રભુએ એમને જે વિશાળ બુદ્ધિ (ઈન્ટલેક્ચ્યુઅલ ક્ષમતા) આપી છે, એનો ભરપૂર લાભ તેઓ આપણને સૌને આપી રહ્યા છે.

છેલ્લા બસો-અઢીસો વર્ષ દરમિયાનના યુરોપિયન, અમેરિકન અને ભારતીય વિદ્વાનો અને લેખકોના ભારતને નીચું પાડવાના, એનું અહિત કરવાના, એની સામે વિશ્વભરમાં ઝેર ઓકવામાં, આપણી સભ્યતાને કલંકિત કરવાના, આપણા સમાજમાં ભંગાણ પાડવાના અને સનાતન પરંપરાને નષ્ટ કરવાના બદ-ઈરાદાઓ ઉઘાડા પાડીને, એ વિશે પુસ્તકો લખીને, એમને પડકારીને અસંખ્ય પ્રવચનો/કથાનકો પ્રસ્તુત કરીને વિશ્વભરમાં સંપૂર્ણ સનાતન સમાજને ભરનિદ્રામાંથી જાગૃત કરનારા અન્ય કોઈનું નામ સ્મરે એવી રાજીવ મલ્હોત્રા જેવી અન્ય વિભૂતિ ક્યાંય વર્તાય છે? મારો ઈરાદો કોઈના કાર્યને રાજીવ મલ્હોત્રાના કાર્ય સાથે સરખાવીને મોટી-લીટી-નાની-લીટીની રમત રમવાનો લગીરે નથી. પરંતુ, પૂર્વ-પક્ષનું આ કાર્ય ઘણું જ મહત્ત્વનું છે જે એમણે ઉપાડ્યું છે અને કદાચ ભારતની નિયતિ રાજીવ મલહોત્રાની જ રાહ જોતી હતી એવું લાગ્યા વિના નથી લાગતું. શું ત્રીસેક વર્ષના ગાળાનું એમનું વિશાળ, વિસ્તૃત, પેનોરેમિક અભ્યાસફલક જોઈને આશ્ચર્ય નથી થતું? એમના 'બ્રેકિંગ ઈન્ડિયા' પુસ્તકમાં પંચોતેર પાનાં ભરીને એન્ડ-નોટ્સ અને સાંઠ પાના ભરીને તો સંદર્ભો છે. એમના પ્રત્યેક પુસ્તકોમાં ભરપૂર સંદર્ભો  આપવામાં આવ્યા છે જે એમના સખત પરિશ્રમ તરફ નિર્દેશ કરે છે.

છેવટે હું આટલું જરૂર કહીશ કે રાજીવ મલ્હોત્રા સીમારક્ષા કરતા એક સિપાહીની જેમ બૌદ્ધિક શસ્ત્રોથી આપણું રક્ષણ કરવા કુરુક્ષેત્રે ઉતર્યા છે. તેઓ જે કરે છે એ આપણાં માટે કરે છે. એમને શી આવશ્યકતા છે અથવા હતી કે અત્યંત વૈભવશાળી જીવનનો ત્યાગ કરીને આ બધી માથાકૂટવાળું જીવન સ્વીકારવાની? લાખો-કરોડો ડૉલર્સમાં આળોટતા તેઓ અન્ય ભારતીય કરોડપતિઓની જેમ જલસાથી પોતાનું જીવન વ્યતિત કરી શક્યા હોત. પરંતુ, એમણે આપણાં માટે આ માર્ગ પસંદ કર્યો.

હજારેક વર્ષની દુર્દશા પછી 1947માં માંડ માંડ કિનારે આવેલી ભારતની સંસ્કૃતિની નાવ એ સમયના રાજકારણીઓની હિમાલય જેવી મહાન અગણિત ભૂલોને કારણે વણસી ગયેલી આજની સ્થિતિ અને ડેમોગ્રાફીને લીધે ડૂબું ડૂબું તો થઈ જ રહી છે જેને થોડોગણો બચવાનો આશરો રાજીવ મલ્હોત્રાનાં પુસ્તકોમાં અને વક્તવ્યોમાં સાંપડે છે.

તો ચાલો આપણે રાજીવ મલ્હોત્રાને તન, મન અને ધનથી જેટલું પણ સમર્થન આપી શકીયે એટલું આપવા કૃતનિશ્ચયી થઈએ. દરેક દેશપ્રેમી ગુજરાતીએ એમના પરિવારને, સગાસંબંધીઓને, આડોશપાડોશમાં રહેતા લોકોને અને મિત્રમંડળને રાજીવ મલ્હોત્રાના કાર્યથી પરિચિત કરવા માટે સક્રિય થવું જોઈએ એવું અમારું સવિનય નિવેદન છે. 

અને છેવટે, મારું આપ સૌ વાચકોને નમ્ર નિવેદન છે કે આપણે સૌ સાથે મળીને આ પુસ્તકને ન માત્ર ભારતનિવાસી પરંતુ વિશ્વમાં વસેલા પ્રત્યેક ગુજરાતી સુધી પહોંચાડવા કટિબદ્ધ થઈએ, જેથી આપણાં શત્રુઓને આપણે ઓળખીને આપણાં ભવિષ્યના આપણે જ ઘડવૈયા બનીયે.

અસ્તુ !

ઉદિત શાહ

1925 લેસપ્રાન્સ રોડ

ટિકમસેહ, ઓન્ટારિયો

કેનેડા N8N1Y5

Email: Udit56@gmail.com

નિવેદન: 

વાચકોને નમ્ર વિનંતી છે કે આ પુસ્તક જરૂરથી ખરીદે, વાંચે અને પોતાના કુટુંબીઓ અને મિત્રમંડળોને પણ આ વાંચવા પ્રેરિત કરે. પોતાના સંપર્કમાંના પ્રત્યેક ગુજરાતીને આ સંદેશો ભૂલ્યા વિના જરૂરથી મોકલજો. 

 

 

 

 

Comments

Popular posts from this blog

Sanskrit Non-Translatable words